ભગેડું તૃણમૂલના નેતા શેખ શાહજહાંની 55 દિવસ પછી ધરપકડ સંદેશખાલીમાં જાતીય હિંસા-જમીન પચાવી પાડવાનો આરોપ
- 29 Feb, 2024
છેલ્લા કેટલાય સમયથી પશ્ચિમ બંગાળમાં શેખ શાહજહાંના વિરોધમાં પ્રદર્શન થઈ રહયા હોવા છત્તા પોલીસ તેને પકડવામાં સફળતા મેળવી શકી નહતી. તેમના વિરોધમાં મહિલાઓ દ્વારા સખત પ્રદર્શન કરવામાં આવી રહયા હતા. છેવટે બંગાળ હાઇકોર્ટની કડક ટિપ્પણની બાદ પોલીસ એક્શનમાં આવતાં શેખની ધરપકડ શક્ય બની હતી.
તેમના વિરુદ્ધ સંદેશખાલીમાં જાતીય હિંસા અને જમીન પચાવી પાડવાના આરોપ છે. તેથી તૃણમૂલ કોંગ્રેસના નેતા શેખ શાહજહાંની બંગાળ પોલીસે 55 દિવસ પછી ઉત્તર 24 પરગણાના મીનાખાન વિસ્તારમાંથી ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, તે સમયે તેના મુખ પર અફસોસની ભાવના સહેજ પણ જોવા મળી ન હતી.
કોલકાતા હાઈકોર્ટે પોલીસને ઠપકો આપ્યો અને તાત્કાલિક ધરપકડનો આદેશ આપ્યાના ત્રણ દિવસ બાદ આ ધરપકડ થઈ છે. પશ્ચિમ બંગાળ પોલીસે સંદેશખાલી હિંસા અને ED પર હુમલાના આરોપી શાહજહાં શેખને ગુરુવારે બસીરહાટ કોર્ટમાં રજૂ કર્યો હતો. બસીરહાટ કોર્ટે શાહજહાં શેખને 10 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે. પશ્ચિમ બંગાળ પોલીસે કોર્ટમાં ટીએમસી નેતા શાહજહાં શેખના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
તૃણમૂલ કોંગ્રેસ નેતા શેખ શાહજહાંને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાનનો એમનો એક વીડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેની બોડી લેંગ્વેજ જોતા એવું લાગતું નહોતું કે તેના પર આટલા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હોય. તે દબંગની જેમ કોર્ટમાં હાજર થવા પહોંચ્યો હતો.
ટીએમસી નેતા શાહજહાં સંદેશખાલીમાં મહિલાઓ પર યૌન શોષણ, જમીન હડપ કરવા અને ED પર હુમલાના કેસમાં મુખ્ય આરોપી છે. અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય આયોગને આદિવાસી પરિવારોના 'જાતીય શોષણ અને જમીન હડપ કરવા' માટે TMC નેતા અને તેના સહયોગીઓ સામે 50 ફરિયાદો મળી છે. રાજ્ય સરકારના અધિકારીઓએ જણાવ્યું કે તેમને લગભગ 1,250 ફરિયાદો મળી છે, જેમાંથી 400 કેસ જમીન સંબંધિત છે. ધરપકડના મામલે વિપક્ષ સતત મમતા સરકાર પર નિશાન સાધી રહ્યું હતું.
શાહજહાં શેખની ઓળખ ટીએમસીના એક મજબૂત અને પ્રભાવશાળી નેતા તરીકે થાય છે. તે સંદેશખાલી યુનિટના ટીએમસી અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. પહેલી વખત શાહજહાં શેખ તે સમયે ચર્ચામાં આવ્યા હતા જ્યારે 5 જાન્યુઆરીએ ઈડીની ટીમ શાહજહાંથી બંગાળ રાશન વિતરણ સ્કેમમાં પુછપરછ માટે પહોંચી હતી. તે સમયે તેમની ગેંગે ઈડીની ટીમ પર હુમલો કરી દીધો હતો. તેના બાદથી ઈડી સતત પુછપરછ માટે શાહજહાં શેખને સમન જાહેર કરી રહી છે. પરંતુ ઈડીની ટીમ પર હુમલા બાદથી શાહજહાં શેખ ફરાર છે જેને 55 દિવસ થઈ ચુક્યા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ